૧૨. પ્રવાસ દ્વારા કલ્યાણ

0:000:00

મુક્તરાજનાં સર્વજીવહિતાવહ કાર્યો તેમના દિવ્ય વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ અનેક જીવોએ તેમને પોતાના જ્ઞાનગુરુનું સ્થાન આપ્યું. તેઓએ મિશનની પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાનગંગા વહેતી મૂકી, ઉપરાંત તેમની પાસે આવનાર દરેક હરિભક્તોના ત્રિવિધતાપ, ઐહિક દુઃખો અને વ્યાવહારિક મુશ્કેલીઓ દૂર કરતા અને આધ્યાત્મિક જ્ઞાન અર્પતા. જાણે તે ઓછું હોય તેમ દયાના સાગર મુક્તરાજ હેતરુચિવાળા હરિભક્તોને ઘરે-ઘરે પધારતા અને તેમનાં ઓરતાં પૂર્ણ કરતાં. રામપુરા, જરવલા, પાટડી વગેરે અનેક ગામડાંઓ તેમ જ મુંબઈ, દિલ્હી, વડોદરા વગેરે શહેરો તેમના પાદસ્પર્શથી કૃપાન્વિત થયાં છે. હરિભક્તોને સુખ આપવા અને તેમને રાજી કરવા ખાતર શરીરની અસ્વસ્થતા હોવા છતાં પણ પ્રવાસનો હડદો ખમતા. જ્યાં જાય ત્યાં સત્સંગ સભામાં શ્રીહરિના જ્ઞાનની લ્હાણી કરે, કોઈના ઘરે પ્રસાદ ગ્રહણ કરે, કોઈને ત્યાં રોકાય, કોઈના ઘરે આરતી ઉતારે અને આવી અનેક રીતે હરિભક્તોના મનોરથો પૂરા કરતા.

અનાદિમુક્તને તો તીર્થયાત્રા કરવાપણું હોતું નથી, કારણ કે પોતે જંગમ તીર્થરૂપ હોય છે. બધાં તીર્થો તેમનાં ચરણમાં જ હોય છે, પરંતુ અનંત જીવોનાં કલ્યાણ થાય અને આત્યંતિક મોક્ષ થાય તેવા આશયથી મુક્તરાજે કાશી, મથુરા, હરદ્વાર, ઋષિકેશ, અયોધ્યા, છપૈયા, બદ્રિનાથ વગેરે સ્થળોએ તીર્થયાત્રા કરેલી. તીર્થાટન દરમ્યાન તેમનો અલૌકિક પ્રતાપ દર્શાવતા એકાદ-બે ઉલ્લેખનીય પ્રસંગો જોઈએ.

છપૈયા પાસે શ્રવણ તલાવડી સ્થાનમાં ઝૂંપડાંવાસીઓ આશરે 100 થી 150 રહેતા હતા. તે દરેકને મુક્તરાજે હાથમાં જળ આપી વર્તમાન ધરાવ્યા ને છેલ્લા જન્મના આશીર્વાદ આપી એ ઝૂંપડાંવાસીઓને ધન્ય બનાવી દીધા. તે બધાને સ્મૃતિ રહે તે માટે મુક્તરાજે પ્રસાદીના રૂપિયા પણ આપ્યા.

છપૈયામાં ઘનશ્યામ મહારાજની મૂર્તિના પાટોત્સવ નિમિત્તે સમૈયામાં એક મોટી ઉંમરના માજી ભીડમાં કચડાઈ ગયાં અને બેભાન થઈ ધામમાં જાય તેવા થઈ ગયાં. મુક્તરાજે તેને ચરણરજ આપી. ચરણરજ મુખમાં જતાં માજી જાગૃત થઈ ગયાં અને બોલ્યાં, "આ ચરણરજમાંથી તો દિવ્ય સુગંધ આવતી હતી અને મને મહારાજનાં દર્શન થતાં હતાં." મુક્તરાજ જે તીર્થમાં જાય ત્યાંના નદી, તળાવ, સમુદ્રમાં પ્રભુની ચરણરજ નાખી તેમાં રહેલા જીવોનું તથા તીર્થનું માહાત્મ્ય જાણી સ્નાન કરે તેનું તથા દર્શન કરે તે સર્વેનું કલ્યાણ થાય તેવા સંકલ્પ કરતા. આમ તે દરેક તીર્થને પાવન કરી સજીવન કર્યાં.

સમગ્ર વિશ્વમાં જીવોનું આત્યંતિક કલ્યાણ થાય એવા ઉદ્દેશથી મુક્તરાજ ઈ. સ. 1993માં પૂ. લીલાબેન તથા અન્ય હરિભક્તો સાથે ઈંગલેન્ડ (યુનાઈટેડ કિન્ગડમ) તથા અમેરિકા પધાર્યા. જીવોનું રૂડું થાય તેવો શુભ સંકલ્પ મુક્તરાજનો હંમેશાં રહેતો. વિદેશના હરિભક્તોને તો હરખ સમાતો નહોતો. તેમના જીવનનો તો આ એક દુર્લભ લ્હાવો અને અનેરો પ્રસંગ હતો. વિદેશ નિવાસી હરિભક્તો માટે જ નહિ, બલ્કે સમગ્ર સત્સંગ માટે આ એક અનેરો પ્રસંગ હતો, કારણ કે એ વિદેશી ધરતીના એટલાં મહદ્ ભાગ્ય કે અનાદિમુક્તના દિવ્ય પાદસ્પર્શથી તે ભૂમિ પાવન બની! હરિભક્તોને લાભ આપવા ઉપરાંત મુક્તરાજે ત્યાંના ડૉક્ટરોને પોતાની વાણી, વ્યક્તિત્વ અને દિવ્યભાવથી પ્રભાવિત કર્યા. કેટલાયને ઘરે પધરામણી કરી મહારાજની આરતી કરતા અને આશીર્વાદ આપતા. ત્યાંના લોકોને પ્રવચન આપી મહારાજની શુદ્ધ ઉપાસના સમજાવી. ત્યાંના બુદ્ધિજીવીઓ પણ મુક્તરાજના પ્રવચનથી અને અલૌકિક પ્રભાવથી પ્રભાવિત થયા હતા. અમુક લોકો તો મુક્તરાજની વાણી અને વ્યક્તિત્વથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે, પોતાની રહેણી-કરણી અને ખોરાક પણ બદલી નાખી મુક્તરાજ કહે તે રીતે રહેવા તૈયાર થયા. ટોરેન્ટોમાં તો એક સત્સંગીને મુક્તરાજ વહેલી સવારે પૂજા કરતા હતા ત્યારે મુક્તરાજના સ્વરૂપમાંથી તેજ નીકળ્યું તેવા દર્શન થયાં હતાં. આથી તેને મુક્તરાજને વિષે ઘણો જ દિવ્યભાવ થયો અને મુક્તરાજની આદરપૂર્વક પોતાને ઘરે પધરામણી કરાવી આશીર્વાદ લીધેલા. મુક્તરાજ જ્યાં જ્યાં જતા ત્યાંના નદી, તળાવ, સમુદ્ર તથા અમેરિકાના નાયગરા ફોલ, પેસેફીક મહાસાગર વગેરે દરેક જગ્યાએ ચરણરજ નાખી તેમાં રહેલા જીવોનું કલ્યાણ થાય તેવા શુભ સંકલ્પ કરતા.

આ રીતે પ્રવાસ દ્વારા પ્રભુના સ્વરૂપના જ્ઞાનની દિવ્ય સુવાસ પ્રસરાવી અનેક જીવોનાં કલ્યાણ કર્યાં.