૫૯. ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થવાનું કારણ - મહિમા જાણ્યા છતાં હેત ન થવાનું કારણ - પ્રીતિના બળને જણાયાનું કારણ - દેશ, કાળ, ક્રિયા, ભૂંડા-ભલા થવાનું કારણ.
સંવત 1876ના ફાગણ સુદિ 14 ચતુર્દશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે હીરકોરનું ધોળું ધોતિયું બાંધ્યું હતું, ને લલાટને વિષે ચંદનની અર્ચા વિરાજમાન હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રશ્ન-ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૨) એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેત ન થાય તેનું શું કારણ છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જો એ ભગવાનનો આવો મહિમા જાણે છે તો એને ભગવાનને વિષે અસાધારણ હેત છે પણ એ જાણતો નથી, જેમ હનુમાનજીમાં અપાર બળ હતું પણ કોઈકના જણાવ્યા વિના જણાણું નહિ. અને જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈ ચાલ્યો ત્યારે પોતામાં બળ તો અપાર હતું પણ પોતે જાણતા નહોતા. પછી જ્યારે તપાસીને જોયું ત્યારે જાણ્યું તેવી રીતે એ ભક્તને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ તો છે પણ જણાતી નથી.(બા.૨)
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૩) એ પ્રીતિનું બળ જણાયાનું શું કારણ છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સત્સંગ ને સત્શાસ્ત્રનું શ્રવણ કરતે સતે એને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ છે તે જણાઈ આવે છે.(બા.૩)
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૪) દેશ, કાળ ને ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ તે સંગ છે કે કોઈ બીજો છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, દેશ તો પૃથ્વી કહેવાય તે સર્વે ઠેકાણે સરખો છે અને કાળ પણ સરખો છે, પણ અતિશે જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય તે સર્વે સારાં થઈ જાય છે; અને અતિશે ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેને યોગે કરીને સારો દેશ, સારી ક્રિયા ને સારો કાળ હોય તે પણ ભૂંડા થઈ જાય છે. માટે શુભ ને અશુભ એવા જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો પુરુષ છે તે પુરુષ જો અતિશે સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ, કાળ ને ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે ને તેથી ઊતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે ને તેથી ઊતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે ને તેથી ઊતરતો હોય તે એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે, એવી રીતે શુભ-અશુભ જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો શુભ ને અશુભ એ બે પ્રકારના પુરુષ છે.(બા.૪)
ઇતિ વચનામૃતમ્ || 59 ||
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો નિશ્ચય, વિશ્વાસ ને આસ્તિકપણું હોય ને અમને સર્વકર્તા જાણે તો અમારે વિષે અસાધારણ સ્નેહ થાય છે. (1) બીજામાં અમારો મહિમા જાણે છે તેને અમારે વિષે પ્રીતિ છે. (2) ત્રીજામાં સત્સંગ ને સત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે પ્રીતિ જણાયાનું કારણ છે. (3) ચોથામાં શુભ-અશુભ દેશકાળાદિકના હેતુ શુભ ને અશુભ બે પ્રકારના પુરુષ છે. (4) બાબતો છે. (આ દેશકાળનું રૂપ પ્ર. 29ના પહેલા પ્રશ્નોત્તરમાં કર્યું છે.)
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિષે નિશ્ચય કહ્યો તે પ્રત્યક્ષ કેવી રીતે સમજવા?
ઉ.૧ શ્રીજીમહારાજે સંકલ્પ કર્યો જે, અમને મનુષ્ય જેવા દેખો, ત્યારે મનુષ્યરૂપે દેખાયા અને પછી સંકલ્પ કર્યો જે, અમને પ્રતિમારૂપે દેખો, માટે આજ પ્રતિમારૂપે પ્રત્યક્ષ છે.
પ્ર.૨ પ્રતિમારૂપે પ્રત્યક્ષ કહીએ ત્યારે તો સર્વે અવતારોની પ્રતિમાઓ છે તેને પરોક્ષ કેમ કહે છે?
ઉ.૨ પ્રગટ થવે કરીને અને અંતર્ધાન થવે કરીને પ્રત્યક્ષ ને પરોક્ષ કહેતા નથી; પ્રત્યક્ષ તો ઉપરીને કહે છે અને જે એના નીચે હોય તેને પરોક્ષ કહે છે, જેમ પરશુરામનું ઐશ્વર્ય રામચંદ્રજીએ લઈ લીધું ત્યારે પરશુરામ પરોક્ષ કહેવાયા અને રામચંદ્રજી પ્રત્યક્ષ કહેવાયા, માટે જે બીજાનું ઐશ્વર્ય ઢાંકીને વર્તે તે પ્રત્યક્ષ કહેવાય. અને જેનું ઐશ્વર્ય ઢંકાઈ જાય તે પરોક્ષ કહેવાય તે જેમ વ્યાપકાનંદ સ્વામીને તથા અભય રાજા આદિકને પોતાની મૂર્તિમાં સર્વ અવતાર લીન કરી દેખાડ્યા એમ પોતાનું અલૌકિક ઐશ્વર્ય-પ્રતાપ જણાવીને પોતાનું સર્વોપરીપણું જણાવ્યું છે, માટે શ્રીજીમહારાજ સદા પ્રત્યક્ષ છે, પણ આગળ તે પરોક્ષ ને પછીથી આવે તે પ્રત્યક્ષ એમ ન સમજવું. સર્વોપરી હોય તે જ પ્રત્યક્ષ કહેવાય. ને પરતંત્ર હોય તે આગળથી આવે અથવા પાછળથી આવે તો પણ તે પરોક્ષ કહેવાય, માટે શ્રીજીમહારાજ સર્વના ઉપરી છે તેમની પ્રતિમાને સાક્ષાત્ પ્રત્યક્ષ જાણીને દિવ્યભાવ લાવીને નિશ્ચય કરવો તો મોક્ષ થાય.
પ્ર.૩ ત્રીજા પ્રશ્નમાં સત્શાસ્ત્ર કહ્યાં તે કિયાં જાણવાં?
ઉ.૩ પ્રત્યક્ષ ભગવાન તથા એમના મુક્તનું સાકારપણું પ્રતિપાદન કરેલું હોય ને એમના ચરિત્રનું તથા એમણે કહેલા ધર્મનું જેમાં વર્ણન હોય તે સત્શાસ્ત્ર જાણવાં અને એ શાસ્ત્રને વાંચવા-સાંભળવાથી શ્રીજીમહારાજને વિષે પ્રીતિ થાય છે ને તે પ્રીતિનું બળ જણાઈ આવે છે.