પ્રસંગ : ૬૮

આધ્યાત્મિક માર્ગ એવો છે કે તેમાં વાચ્યાર્થ જ્ઞાન ગમે તેટલું હોય છતાં એક અનુભવી માર્ગદર્શકની જરૂર પડે છે. સદગ્રંથો વાંચી એ માર્ગ પર ચાલવાની સાચી કેડી હાથ લાગી હોય અને એ માર્ગે આગળ વધ્યા પણ હોય, પરંતુ જ્યારે મહારાજના દિવ્ય સ્વરૂપના સુખની વાત આવે, ત્યારે એક સાચા ગુરુ, સાચા અનુભવીની અનિવાર્યતા રહે જ છે. એ સુખની પ્રાપ્તિ જેઓ એ સુખ માણતા હોય, અખંડ અનુભવ કરતા હોય, પૂર્ણકામ હોય, અનાદિની સ્થિતિ જેને પ્રાપ્ત હોય તેઓ જ કરાવી શકે. બીજા કોઈથી એ વાત બનતી નથી.

એક ગામના મંદિરમાં એક સ્વામી રહે. તેમણે યોગ સાધના સારી કરેલી. હઠયોગને કારણે તેમને સમાધિ પણ થતી. અને એ સમાધિની સાબિતી આપવા તેઓ કૂવાના પાણીમાં છ-છ કલાક સુધી પડી રહેતા. સામાન્ય લોક સમૂહમાં આ બાબત ભારે કૌતૂક ઊભી કરતી. સ્વામી પોતે સમાધિ કરતા અને બીજાને પણ ઘણી વખત સમાધિ કરાવતા. આવું સામર્થ્ય તેઓ ધરાવતા. આમ બધું હોવા છતાં તેમને મહારાજના દિવ્ય સુખની પ્રાપ્તિ નહોતી. એ સુખ તેઓ અનુભવી તેને માણી શકતા નહિ. સમાધિમાં જાય કલાકો સુધી એ અવસ્થામાં રહે, પણ જે સુખ તેમને જોઈતું હતું તે મળે નહિ. આથી તેમણે મામાને પ્રાર્થના કરાવી. સેવકે આવી મામાને વાત કરી. મામા કહે, "તેમણે વર્ષોના વર્ષો હઠયોગની સાધના કરી છે. હઠયોગને લીધે જે પ્રાપ્તિ થવી જોઈએ તે તેમને થઈ છે, પરંતુ એટલા વર્ષ જો ભગવાન સંભાર્યા હોત તો મૂર્તિ હાથ આવત. અત્યારે તો તેમની અવસ્થા પણ ઘણી થઈ છે. આ અવસ્થાએ હવે મૂર્તિ સંભારવા જાય તો ક્યાંથી થાય? ધ્યાન સિદ્ધ કરી મૂર્તિ મેળવવાના સમયમાં હઠયોગની સાધના કરી. પાછું લોક ચાહના મેળવવા તે સિદ્ધિનું પ્રદર્શન કરે છે. આમાં મૂર્તિ ક્યાંથી હાથ લાગે? તેમણે પુરુષાર્થ ઘણો કર્યો છે, પરંતુ તે મૂર્તિ પ્રાપ્ત કરવા માટેનો નહોતો. જો એમ હોત તો મૂર્તિ સિદ્ધ થઈ જાત. આ ઉંમરે તેમનાથી હવે ધ્યાન સાધનાનો પુરુષાર્થ કેવી રીતે થાય? છતાં ચાલો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તેમને સહાય કરે અને આધ્યાત્મિક માર્ગે તેઓ પ્રગતિ કરે." મામાએ મહારાજને પ્રાર્થના કરી.

જેના માટેનો પુરુષાર્થ હોય તેનું ફળ મળે. પુરુષાર્થ કરવો, સાધના કરવી તે ભગવાનને પામવા માટેની હોય તો ભગવાન મળે. એ પુરુષાર્થમાં મુક્તપુરુષનું માર્ગદર્શન અને આશીર્વાદ સાચા પથદર્શક બની રહે છે. નહિ તો ક્યારે આડે પાટે ચડી જવાય તેની જાણ પણ થતી નથી. માટે જ અનુભવી ગુરુની અનિવાર્યતા દરેક ક્ષેત્રમાં કહી છે.