શ્લોક : ૬૭
अन्नवस्त्रादिभि: सर्वे स्वकीया: परिचारका: ।
सन्भावनीया: सततं यथायोग्यं यथाधनम् ॥ ૬૭ ॥
અને પોતાના જે સેવક હોય તે સર્વેની, પોતાના સાર્મથ્ય પ્રમાણે અન્ન-વસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. ॥ ૬૭ ॥
ભાવાર્થ
‘स्वकीयाः’ એટલે પોતાના સંબંધીજનો અને ‘परिचारकाः’ એટલે પોતાના સેવકો અર્થાત્ માતા, પિતા, ગુરુ, પત્ની, પુત્ર-પૌત્રાદિ, પોતાને આશ્રયે રહેલા તેમ જ અભ્યાગત, શરણે આવેલા અને અગ્નિ-આ સર્વેનું યથાયોગ્ય એટલે તેમના અધિકાર મુજબ અન્નવસ્ત્રાદિકે કરીને પોષણ કરવું તથા રસ-ઔષધ આદિથી પણ તેમની સેવા કરવી. અને તે પોષણ પોતાની પાસે ધન હોય તેના પ્રમાણમાં કરવું અને સતત કહેતાં દરરોજ તેમને સંતોષ પમાડવા, પરંતુ તેમને ક્લેશ કરાવવો નહિ.