ગઢડા મધ્ય : ૧૩

પોતાને મિષે પોતાના મુક્તની સ્થિતિ કહી છે. જે અમારા મુક્તને સારા નરસા વિષય, માન, અપમાન, કચરો, કંચ, સમ વર્તે છે અને વૈરાગ્યાદિક સાધનનો ભાર નથી રહેતો અને બળાત્કારે વૃત્તિને વિષય સન્મુખ જોડે તો માંડ માંડ જોડાઈને પાછી વળી આવે છે. તેનું કારણ એ છે જે અમારા તેજમાં દિવ્ય તેજોમય દ્વિભુજ મૂર્તિ, સૌમ્ય ને કિશોર એવા અમને સદાય દેખે છે, એવી રીતે અમને જાણે ને દેખે તેને પણ ક્યાંય આસક્તિ રહે નહિ. એ અમારા પ્રકાશનાં આત્મા, બ્રહ્મ ને અક્ષરધામ એ ત્રણ નામ છે અને અમારાં પરમાત્મા, પરબ્રહ્મ ને પુરુષોત્તમ એ ત્રણ નામ છે. અમે જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. ક્યારેક તત્ત્વને ગ્રહણ કરીને પ્રગટ થઈએ છીએ અને ક્યારેક કૈવલ્યપણે પ્રગટ થઈએ છીએ. આ લોકને વિષે મનુષ્ય જેવા દેખાઈએ છીએ પણ અક્ષરધામના પતિ છીએ. શ્રીકૃષ્ણને દૃષ્ટાંતે કહ્યું છે કે અમે અક્ષરાતીત કહેતાં અમારા તેજરૂપ અક્ષરધામ તેથી અતીત એટલે પર છીએ ને કૈવલ્ય મૂર્તિ છીએ ને અમારું ધ્યાન કરનારાને કૈવલ્યરૂપે દર્શન આપીએ છીએ. તે પરમપદને પામે છે. અમારા સંબંધને પામે તે જગ્યા, પદાર્થ ને સેવક તે સર્વે નિર્ગુણ થાય છે. અમને આવા જાણે છે તે સ્વતંત્ર થાય છે. અમે સર્વ અવતારના કારણ છીએ ને સર્વ અવતાર અમારામાંથી પ્રગટ ને અમારામાં લીન થાય છે. અમારી પ્રગટ થવાની તથા અંતર્ધાન થવાની રીત અલૌકિક છે. ત્યાં શ્રીકૃષ્ણ ભગવાનના દેહ ત્યાગ કર્યાનું દૃષ્ટાંત આપ્યું છે અને આવા અમને સમજે તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય નહિ. આ વાર્તા સદ્‌ગ્રંથોમાં હોય પણ અમારા ધામમાંથી આવેલા મુક્તના મુખ થકી જ સમજાય છે. આવું અમારું સ્વરૂપ સમજ્યામાં આવે તેને ત્રિકાળદૃષ્ટિનો ગર્વ કે હર્ષ શોક હોય નહિ. આવો નિર્વિઘ્ન માર્ગ બીજો નથી, માટે આ વાર્તા દૃઢ કરીને રાખજો. તેજમાં મૂર્તિ કહી તે અમે પોતે જ છીએ એમ જાણજો ને આ વાતનું બીજ લાવજો, એટલે જે જે વાત કરો તેમાં અમે સર્વેથી પર ને સર્વેના કારણ છીએ અને અમારા તેજરૂપ અક્ષરધામમાં સદાય વિરાજમાન છીએ એ વાત લાવજો. (૧૪૬)