પત્ર : ૧૮૫

આપણે વ્યવહાર સિદ્ધ કરવાનો ઠરાવ નથી, પણ મૂર્તિ સિદ્ધ કરવી છે.

દયા રાખવાનો દસ્તાવેજ કરાવવા વિષે લખ્યું તો તમારા વિના બીજા કોઈ કરાવતા નથી. એ તો વરસાદની પેઠે વરસ્યા જ કરે છે.

‘દયાનિધિ ! તમે દાસને નિત્ય આપો છો એ દાન.’

‘દયાના ભરેલા એનાં દિલડાં રે લોલ,

આંખડી ભરેલ અમી રેલ રે, શ્રીજીના સ્નેહ મુને સાંભરે.’

‘અતિ દયાળુ રે સ્વભાવ સ્વામીનો.’

દયાના સાગર શ્રીજીમહારાજે આપણને પોતાના કર્યા છે. ન્યાલકરણ, સુખના સિંધુ, શરણાગત, પ્રતિપાળ, દીનબંધુ મહાપ્રભુએ જે દિવસથી આપણો હાથ ઝાલ્યો છે ને પોતાના કર્યા છે, મૂર્તિમાં રાખ્યા છે, તે દિવસથી જ પાકો રજિસ્ટર્ડ દસ્તાવેજ કરી દીધો છે. ઠેઠ હજૂરનો જ ખુલાસો છે. તેથી હવે માગણી કરવાની ક્યાં રહે છે ?