પત્ર : ૨

શ્રીજીમહારાજ અખંડ છે, અનાદિની સભા અખંડ સાથે છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ છે. મહાપ્રભુ સૌને એકકાળાવિછિન્ન સુખ આપે છે. મુક્ત સદાય સેવક છે. સૌના સ્વામી, સૌના નિયંતા, સૌના સુખદાતા શ્રીહરિ પુરુષોત્તમ નારાયણ છે. મુક્તોએ એ દિવ્ય મનોહર મૂર્તિનાં ગીત ગાયાં છે, એ ગીતને આપણે કીર્તન કહીએ છીએ. નખશિખા સુધી એ એક જ મૂર્તિનું વર્ણન કર્યું છે. જાનૈયા-જાનડીયું ઘણી હોય, વર તો એક જ હોય. આ અખંડ વર તે શ્રીજીમહારાજ. એ મૂર્તિને વરનારા અખંડ સોહાગી. આપણા અહોભાગ્ય, જેથી આ કૃપાળુ ન્યાલકરણ મળ્યા. ખોટનાં ખાતાં કાઢી નાખ્યાં અને અખૂટ ખજાનો આપ્યો. અખૂટ ખજાનો બીજો નહિ, શ્રીહરિ સહજાનંદ સ્વામી મહાપ્રભુ. ‘‘ખરચ્યું ન ખૂટે, એને ચોર ન લૂંટે, દામની પેઠે એ ગાંઠે બાંધ્યું ન છૂટે.’’ મોઢું નાનું ને ગુણ ગાવા મહાપ્રભુના ! એ તો અક્ષરકોટિ સુધી કે મુક્તકોટિ સુધી કોઈ ગાઈ શકતા નથી. છેવટે ‘અપાર, અપાર’ કહી ચરણમાં નિવાસ કરે છે. ચરણ કહેવાય તો ય રસબસ ભાવે મૂર્તિ જ. જુદા જુદા અંગની વાત તો દેહભાવ હોય ત્યાં સુધી છે. દિવ્યભાવમાં તો ચૈતન્યને સાકાર કરી રસબસ ભાવે મહારાજ પોતાની દિવ્ય મૂર્તિના સુખભોક્તા કરે છે. એ સુખના અનુભવનારા અપાર અપારપણું કહે છે, સમજે છે ને સમજાવે છે. શ્રીહરિ વચનામૃતમાં કહે છે કે એ મૂર્તિનું એક ક્ષણ વાર સુખ ભોગવ્યું હોય તો જાણે કોટાનકોટિ કલ્પ સુધી ભોગવીએ છીએ. એ દિવ્ય સુખમાં અખંડ રહેવા આપણે અખંડ અવિનાશી શ્રીહરિ સહજાનંદ સ્વામી ભગવાન ભેળું રહેવું. દેહભાવ કાઢી મૂર્તિ આપી છે. આપણે મૂર્તિ જ છે, મહારાજ જ છે, એવું મનન કર્યા કરવું. મૂર્તિ મૂકવી નહિ ને નિશાન ચૂકવું નહિ. એક મૂર્તિનાં જ ગીત ગાવા. બીજાં નામ વચમાં શા માટે નાખવાં ? સત્સંગ બધો દિવ્ય જાણવો. ખામી જણાય તે આપણી જાણવી.