૭૩ - વરસાદથી જાર પલળી ગઈ
એક દિવસ ભાઈશ્રી સવારમાં નાહી, પૂજા કરી, મંદિરમાંથી ઘેર આવ્યા ને પોતાની દીકરીને કહ્યું જે, ‘વાડીમાં જારના કાહણા પડ્યા છે તે ખળામાં લઈ જવાનું આજ કાંઈ નહિ. મંદિરમાં સંત આવ્યા છે તે હું મોડેથી વાડીએ આવીશ.’ એમ કહી મંદિર ચાલ્યા ગયા; વરસાદનો ડોળ નહોતો, તેથી દીકરી વાલબાઈ તથા દેવુબા એ વાત સમજ્યાં નહિ. પછી વાડીએ જઈ મોડેથી વિચાર કર્યો જે, ‘ડૂંડાં ખળામાં લઈ જવાની ના પાડી છે, તે તો પોતાથી આજ નહિ અવાય તે માટે કહ્યું હશે, પણ આપણે લઈ જઈએ તો શું?’ એમ વિચારી ભારીઓ બાંધી ગાડામાં ભરી ખળામાં લઈ ગયાં. થોડી વાર પછી વાદળાં થતાં જોઈ બીક લાગી કે વરસાદ તો થવાનો નહિ હોય? એમ જાણી ઉતાવળથી કાહણા મસળવા લાગ્યાં, મસળી રહ્યાં ત્યાં વરસાદ આવ્યો તે જાર બધી પલળવા લાગી, તેથી ઉતાવળાં એમ ને એમ મોદમાં નાખી ગાડું ભરી ઘેર લાવ્યાં ને ચોકમાં ગાડું ઊભું રાખ્યું, પણ વરસાદ તો વરસતો જ હતો. આ વખતે ભાઈશ્રી મંદિરમાં માથે ધોતિયું ઓઢી ધ્યાન કરતા હતા. કોઈએ મંદિરમાં જઈને કહ્યું જે, ‘ચોકમાં ભાઈની જાર પલળી જાય છે.’ સંતો વાત સાંભળીને ઉતાવળા ચોકમાં જઈને જુએ તો જાર પલળતી દીઠી. પછી હરિભક્ત મોકલી ઘરમાંથી સર્વેને બહાર કઢાવ્યાં ને સંતો તથા હરિભક્તોએ મળી ઉતાવળા ઉતાવળા જાર ઘરમાં ભરી દીધી. થોડી વાર પછી ભાઈશ્રીને ખબર પડી એટલે ઘેર ગયા ને પોતાની દીકરીને કહ્યું જે, ‘બાઈ, તમને ના પાડી હતી તોય જાર ખળામાં લઈ જઈને બગાડી, વળી ઘેર લાવીને સાધુ તથા હરિભક્તોને દાખડો કરાવ્યો.’ પછી આ વચન દીકરીને સારું નહિ લાગ્યું હોય એમ જાણી તરત જ બોલ્યા જે, ‘હશે! મહારાજની એવી મરજી, એમાં તમારો શું વાંક? વાંક વરસાદનો જે કટાણે આવીને પલાળી ગયો’ –એમ કહી મંદિર ચાલ્યા ગયા. (પોતે અંતર્યામીપણું જણાવતા છતાં કોઈને પોતાના વચનથી જરાય દુઃખ ન થાય એવો પણ ખટકો રાખતા)`.